top of page
Search

ઉનાળા ની ગરમી માં ઠંડક આપતાં ખાદ્યપદાર્થો :-


લ્યો… શિયાળો પત્યો. ગરમી ચાલુ થઈ. ઋતુઓ બદલાતી જાય છે પણ કોરોના ની પરિસ્થિતિ માં ખાસ ફેર પડતો નથી. હજુ સાવચેતી અને રોગપ્રતિકારક શક્તિ આપણા જીવનના મહત્વ ના પાસા છે જ અને હવે હંમેશ રહેવાના. ઉનાળાનો તાપ આકરો થતો જશે અને ડીહાઈદ્રેશન ની સંભાવના વધશે. આ ઉપરાંત , અપચો, ઝાડા – ઉલ્ટી ની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે. થાક લાગવો, કામ માં મન ન લાગવું, સ્વભાવ ચીડિયો થવો જેવા લક્ષણો જોવા મળી શકે. તો આવા સંજોગો માં બદલાતી ઋતુઓ સાથે સુસંગત એવા ઠંડક આપતાં ફળો અને શાકભાજી ઓ અને અન્ય ખાદ્યપદાર્થો ના મહત્વ ને જાણીએ અને એમનો આનંદ લઈએ.

• તરબૂચ :- આપણે સૌ જાણીએ છીએ કે તરબૂચ ના ગલ માં ૯૧% પાણી રહેલું છે જે ઉનાળા માં શરીર ના કોષો ને ડીહાઈદ્રેશન થી બચાવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ્સ ધરાવતું તરબૂચ લોહી ની સતત શુદ્ધિ કરે છે. ભર બપોરે તરબૂચ નું સેવન હિતાવહ રહે છે.

• કાકડી/ ચીભડાં :- રેષા થી ભરપુર એવી કાકડી / ચીભડાં પુષ્કળ ગરમી ને કારણે થતી કબજિયાત થી શરીર ને બચાવે છે. વળી, કાકડી માં પાણી ની માત્રા ખુબ સારી હોય છે. કાકડી જમવા પહેલાં ખાવાથી પેટ ભરાયેલું રહે છે અને ભારે ખોરાક ના ઓવર ઇટીંગ થી બચી શકાય છે. આ માટે બહાર જમતાં પહેલાં અથવા ઘરે ભારે ભોજન લેતા પહેલાં કાકડી / ચીભડાં નું સેવન ખાસ કરવું.

• દહીં :- દહીં એ આંતરડાં ને ઉપયોગી એવા બેક્ટેરિયા ( પ્રો બાયોટિક્સ) ધરાવે છે જે ગરમ આબોહવામાં અનિવાર્ય થઈ પડે છે. ગરમી માં ખોરાક માં નુકસાનકારક બેક્ટેરિયા જલ્દી ઉત્પન્ન થાય છે. આવા સંજોગો માં જરાક પણ વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. દહીં ના પ્રો બાયોટિકસ આવા નુકસાનકારક બેક્ટેરિયા સામે આંતરડાં ને રક્ષણ આપે છે. દહીં બન્ને સમય જમવા સાથે લઈ શકાય

• નારિયેળ પાણી :- નારિયેળ પાણી પોટેશિયમ નો કુદરતી સ્ત્રોત છે. ઉનાળાની ગરમી માં પસીના દ્વારા આપણે ગુમાવેલા સોડિયમ, પોટેશિયમ , કલોરાઇડ ને ફરી મેળવવા માટે નારિયેળ પાણી એ શ્રેષ્ઠ વિકલ્પ છે.ભર બપોરે કે વહેલી સવારે, સૂર્યાસ્ત સુધી કોઈ પણ સમયે લઈ શકાય. હા, ખાલી પેટે નારિયેળ પાણી ગેસ કરી શકે.

• ફુદીનો :- ફુદીનો એ આપણને ગરમી માં ઠંડક આપી તરોતાજા રાખે છે. લીંબુ પાણીમાં, ગ્રીન ટી માં કે ચા માં અથવા ઇન્ફ્યુઝન વોટર માં પણ ફુદીનો ઉમેરી ભર બપોરે લેવાથી ઠંડક નો અનુભવ થાય છે.

• કાંદા :- કાંદા માં રહેલું કર્સેટીન એન્ટી એલરગન ( એલરજી સામે રક્ષણ આપનાર ) સાબિત થયું છે. વળી ઉનાળા ની લું સામે પણ કાંદા રક્ષણ આપે છે. એથી, ઉનાળા ના રોજિંદા આહાર માં કાચ કાંદા નો સલાડ તથા રાયતા તરીકે ઉપયોગ કરવા માં આવે તો ફાયદાકારક સાબિત થાય છે.

• લીંબુ પાણી :- ઉનાળા માં શરીર નું હાઇડ્રેશન જાળવી રાખવા માટે લીંબુપાણી નું સેવન ખૂબ જરૂરી બની જાય. દિવસ ના ઓછા માં ઓછા ૧-૨ ગ્લાસ લીંબુ પાણી અથવા લીંબુ, ફુદીના નુ ઇન્ફયુઝન વોટર આખો દિવસ લઈ શકાય. આ ઉપરાંત, કસરત દરમ્યાન પણ શરીર માં પાણી અને ખાનીજત્તવો નું પ્રમાણ જળવાઈ રહે તે માટે ors અથવા લીંબુપાણી થોડું થોડું પીતા રહો.

• શેતુર, ફાલસા :- હવે નામશેષ થઈ ગયેલા શેતૂર અને ફાલસા જેવા ઉનાળુ ફળો , લોહી શુદ્ધ કરવા( ડીટોકસિફિકેશન) માટે અને કિડની ની કાર્યશીલતા વધારવા માટે જાણીતા છે. સ્વાદિષ્ટ એવા આ ફળો જઠર ને ઠંડક આપવા ખાનિંત્તવો નો ભંડાર હોય છે.

• કાળી દ્રાક્ષ :- સૂકી કાળી દ્રાક્ષ આંતરડાના શુદ્ધિકરણ માં ઉપયોગી બને છે. ઉનાળામાં ડિહાઈડ્રેશન ને લીધે ક્યારેક કબજિયાત ની સમસ્યા ઉભી થઇ શકે. આ સંજોગો માં કાળી દ્રાક્ષ દવા નું કામ કરે છે.

આમ, ઉનાળા માં મળતાં ખાદ્યપદાર્થો નું હવે તેના ફાયદા ઓ સમજી ને સેવન કરીએ.




 
 
 

Recent Posts

See All
ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

 
 
 
ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

 
 
 

Comments


bottom of page