top of page

શું આપને ખરેખર સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર છે?

Writer: Fit AppetiteFit Appetite

રોજ નવી જાહેરાતો છાપા માં, રેડિયો અને ટીવી પર આવતી હોય જેમાં કહેવામાં આવ્યું હોય કે …” શું આપને આપના ખોરાક માં થી પોષક તત્વો પૂરતાં પ્રમાણ માં મળી રહે છે? “ પછી આ ખાલી જગ્યા માં કોઈ પણ એકસ, વાય, ઝેડ પોષતત્તવ મૂકી દેવામાં આવે … “ચાલીસ ની ઉમર થાય એટલે મલ્ટી વિટામિન ની ગોળીઓ લઈ જ લેવાની..“ જીમ જતાં હોવ તો સપ્લીમેંટ તો લેવા જ પડે “ … “ વજન ઉતારવા માટે સ્લીમિંગ શેક લો અને સાથે વિટામીન્સ તો લેવાના જ ..તો જ એની આડઅસર ન થાય.!!”  આવી માન્યતાઓ સાથે જીવતો આપણો સમાજ.. કોણ જાણે કેટલીય સપ્લિમેન્ટ બનાવતી કંપનીઓ ના માલિકો ને સમૃદ્ધ બનવામાં મદદરૂપ થાય છે પણ સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય ને અજાણપણે કેટલું નુકસાન કરી રહ્યા હોય છે તેનો તેમને ખ્યાલ હોતો નથી.

મુખ્યત્વે વિટામિન બી ૧૨, વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્ન આ ચાર એવા પોષતત્ત્વો છે જેમનું સેવન લોકો અજ્ઞાન પણે ચણા – મમરા ની જેમ કરતાં હોય છે. આ પોષકતત્વો નું જરૂરિયાત કરતા વધુ પ્રમાણ માં સેવન ચોક્કસ સ્વાસ્થ્ય સંબંધી અડચણો ઊભી કરે જ. સંસ્કૃત માં ઉકિત છે ને કે “ અતિ સર્વત્ર વર્જયેત” …

તો આવો આ અંકે સમજીએ કે ખરેખર સપ્લિમેંટ કોણ અને કેટલા પ્રમાણ માં લઇ શકે અને જો સપ્લિમેંટ દ્વારા જો જરૂરિયાત કરતા વધારે વિટામીન્સ અને ખનીજ તત્વો લેવામાં આવે તો આપણે શરીર ને કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ!!

વિટામિન બી ૧૨ :- વિટામિન બી ૧૨ નું મુખ્ય કાર્ય શરીર માં રક્ત કણો ઉત્પન્ન કરવાનું છે. એથી જ જો વિટામિન ની ૧૨ પૂરતાં પ્રમાણ માં શરીર માં ન હોય તો લોહીમા રક્તકણો  ની માત્રા ઘટી જાય. અને એમ થતાં શરીર પુષ્કળ થાક અનુભવે.   વિટામિન બી ૧૨ ગર્ભવતી માતા દ્વારા બાળક ના શરીર માં સ્ટોર થાય છે. આ સ્ટોર બાળક મોટો થાય ત્યાં સુધી વપરાતો હોય. તે દરમ્યાન આપણા ખોરાક -મોટેભાગે  નોન વેજ આહાર અને દૂધ તથા ચીઝ અને પનીર જેવી દૂધ ની બનાવટો માં થી મેળવતાં હોઈએ છીએ. અલબત, શાકાહારીઓ અને વિગન લોકો માંસાહારીઓ ની સરખામણી માં ખૂબ ઓછા પ્રમાણ માં વિટામિન બી ૧૨ મેળવી શકતા હોય છે. અને પછી લોહી માં બી ૧૨ નું પ્રમાણ બરાબર હોવા છતાં.. આંખો મીંચી બી ૧૨ ની ગોળીઓ ગળ્યા કરે છે. આવા સંજોગો માં જો શરીર માં જરૂરિયાત કરતા વધુ બી૧૨ લેવાય તો નીચે મુજબ ની તકલીફો થઈ શકે ..

·        પાતળા ઝાડા થવા

·        ચામડી પર ખંજવાળ આવવી

·        ચાંદા પડવા

·        ચક્કર આવવા

·        માથું દુખવું

·        વેઇન થરોમ્બોસિસ ( નસો માં ગાંઠ થવી)

·        પેટ ફૂલવું

·        ફેફસાં પર સોજો આવવો.

વિટામિન ડી:-  વિટામિન ડી નું મુખ્ય કાર્ય હાડકાં માં કેલ્શિયમ અને ફોસ્ફરસ ના અધિશોષણમાં મદદરૂપ થવાનું છે. આ વિટામિન ડી આપણને સૂર્ય ના પ્રકાશ ના ચામડી પર પાડવા થી ચામડી દ્વારા શરીર ને મળે છે. ઘણી વાર શરીર માં કેલ્શિયમ ની ખામી અને હાડકાં ના રોગો  નું મુખ્ય કારણ વિટામિન ડી ની ઊણપ હોઈ શકે. પરંતુ સૂર્યપ્રકાશ ગ્રહણ કરવાનો બદલે આખો દિવસ એસી માં બેસી રહેતી પ્રજા છેવટે વિટામિન ડી ના સપ્લીમેન્ટ નો ઉપયોગ કરે છે. અને કેટલાક વધુ પડતાં સમજુ લોકો જરૂરિયાત વગર પણ વિટામિન સપ્લીમેન્ટ્સ ખા બે ખા કરે છે. .શરીર ની જરૂરિયાત થી વધુ પ્રમાણ માં વિટામિન ડી લેવાથી નીચે મુજબ ની તકલીફો સર્જાઈ શકે છે.

·        કિડની અને હૃદય ને નુકસાન

·        કબજિયાત અને ઝાડા વારાફરતી થવા

·        હૃદય ના ધબકારા માં ફેરફાર

·        જો વધુ પાડતા પ્રમાણ માં ગર્ભવતી મહિલા દ્વારા લેવામાં આવે તો બાળક નો માનસિક વિકાસ ધીમો થવાની શક્યતા છે.

આયર્ન ની ગોળીઓ :- આયર્ન લોહીનો અવિભાજ્ય ભાગ છે. આયર્ન ની મદદ થી લોહી દ્વારા અખા શરીર માં ઓકસીજન પહોંચે છે. આયર્ન આપણને લીલી ભાજી, ખજૂર, અંજીર જેવા સૂકા મેવા, ઘઉં, ચોખા જેવા અનાજ, બાજરી, જુવાર, રાગી જેવા ધાન્ય, ઈંડા અને પ્રની ના લિવર જેવા માંસાહારી પદાર્થો તથા દાડમ, સફરજન, બોર, દ્રાક્ષ જેવા ફળો માંથી પૂરતી માત્રા માં મળી રહે છે.

જોોોો શરીર માં પૂરતાં પ્રમાણ માં આયર્ન ન હોય તો શરીર થાક અનુભવે. પરંતુ જો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણ માં આયર્ન લેવામાં આવે તો નીચે મુજબ ની તકલીફો થઈ શકે.

·        ૬ વર્ષ થી નીચેના બાળકો માં આયર્ન નું વધુ પડતું સેવન હૃદય પર ભારણ મૂકી મૃત્યુ પણ નોતરી શકે છે

·        વધુ પડતું આયર્ન આંતરડાં ની અંદર ની સપાટી ને નુકસાન પહોંચાડી શકે છે.

·        ડાયેરિયા અને ડીહાઇડ્રેશન થઈ શકે છે.

·        લોહી નું નીચું દબાણ અને ઊંચા હૃદય ના ધબકારા ( પ્લસ રેટ)

·        શ્વાસોચ્છવાસ માં તકલીફ

·        ત્વચા નો ભૂરાશ પડતો રંગ

·        વધુ પડતું આયર્ન લિવર માં જમા થતું હોઈ લિવર અને બરોળ ને બરડ બનાવે છે.

કેલ્શિયમ :- કેલ્શિયમ હાડકાં અને સ્નાયુ ઓ ને મજબૂત કરવા ઉપરાંત ચેતા તંત્ર ની કાર્યવાહી માટે પણ આવશ્યક ખનીજ છે. રોજિંદા આહાર માં દૂધ, લીલી ભાજી, લગભગ દરેક શાક અને ફળો તથા રાગી, બાજરી જેવા ધાન્ય, માછલી જેવા માંસાહારી પદાર્થો તથા તલ, અળસી , સૂરજમુખી ના બીજ જેવા તેલીબિયાં માં થી સારી માત્રા માં મળી રહે છે. આ ખાદ્યપદાર્થો નું રોજ સેવન કરવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં કેલ્શિયમ મળી શકે . જો પૂરતાં પ્રમાણ માં કેલ્શિયમ ન મળે તો હાડકાં નબળા બને. પરંતુ યોગ્ય તબીબી માર્ગદર્શન વિના આડેધડ લેવાતી કેલ્શિયમ ની ગોળીઓ જીવ માટે જોખમરૂપ સાબિત થઈ શકે… કેલ્શિયમ નું શોષણ હાડકાં અને દાંત માં થાય છે પરંતુ વધુ પાડતા કેલ્શિયમ દ્વારા શું તકલીફ આવી શકે તે જોઈએ

·        વધુ પડતું કેલ્શિયમ આયર્ન અને ઝીંક નું શોષણ અટકાવે

·        વધુ પડતાં કેલ્શિયમ ને લીધે કિડની માં પથરી થવાની સંભાવના વધે

·        પ્રોસ્ટેટ ના રોગો નું એક કારણ વધું પડતું કેલ્શિયમ નું સેવન હોઈ શકે.

આવો, આ સપ્લીમેન્ટ્સ નું લોહીમાં  જરૂરી પ્રમાણ જાણીએ .

એક સ્વસ્થ વ્યક્તિ ના લોહી માં નીચે નીચે પ્રમાણે ની પોષકતત્વો ની માત્રા હોવી જોઈએ. જો આ માત્રા જરૂરિયાત કરતાં ઓછી હોય , તો તબીબ અને ડાયેટિશિયન ની સલાહ બાદ જ સ્પલીમેન્ટ્સ નું સેવન કરવું જોઈએ.

પોષક તત્વ

લોહી માં જરૂરી પ્રમાણ

વિટામિન બી૧૨

૨૦૦-૯૦૦ ng/ml

૦વિટામિન ડી ૩

૨૯-૫૦ ng/ml

આયર્ન( હિમોગ્લોબીન)

૧૧.૬-૧૫.૦  g/dL (સ્ત્રીઓ માટે)

૧૩.૫-૧૬.૦ g/dL( પુરુષો માટે)

કેલ્શિયમ

૮.૬-૧૦.૩ g/dL

 

( સ્ત્રોત :- national institute of nutrition (NIN), Hyderabad)

*નોંધ :- ઉપર ના કોષ્ટક માં દર્શાવાયેલ આંકડા એક સ્વસ્થ પુખ્ત વય ની વ્યક્તિ ને અનુલક્ષી ને છે. બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે આ પ્રમાણ માં ફેરફાર હોઈ શકે.

 

 
 
 

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

Comments


bottom of page