top of page

સુંદર ત્વચા માટે કેવો આહાર લેશો?

Writer: Fit AppetiteFit Appetite

 

આપણી ત્વચા એ આપણા સ્વાસ્થ્ય નો ‘ રિપોર્ટ કાર્ડ ' છે. આપણા સ્વાસ્થ્ય ની દરેક વિગત આપણી ત્વચા પર થી ખબર પડી જાય છે. ડોકટરો પણ આપણો ચહેરો જોઈ ને કહી નથી દેતા ... વિટામિન ની, આયર્ન ની કેલ્શિયમ ની ખામી લાગે છે! આપણા સગા – વહાલાઓ પણ ચહેરો જોતાં જ કહી દે છે ને કે “ આજે તબિયત ઠીક લાગતી નથી!”



ચહેરા ની ફીકાશ, લાલાશ, પીળાશ, કાળાશ, દરેક રંગ સ્વાસ્થ્ય ની કોઈ ને કોઈ ખામી અને ખૂબી ને ચિત્રિત કરે છે.  એટલે જો ત્વચા સ્વસ્થ રાખવી હોય તો સ્વાસ્થ્ય સરસ રાખવું પડે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવો જરૂરી બને.

તો આવો આજના આ લેખ દ્વારા જાણીએ કે સ્વસ્થ ત્વચા મેળવવા કેવો ખોરાક ખાશું.

નીચે મુજબ ના ખાદ્યપદાર્થો ત્વચા ને સુંદર, સ્વસ્થ અને યુવાન દેખાવા માં મદદ કરી શકે.

1.      ગાજર :- બીટા કેરોટિન થી ભરપુર ગાજર વિટામિન એ એને એન્ટી ઓક્સિડન્ટ તત્વો નો ખજાનો છે. આ એન્ટી ઓક્સિડન્ટ તત્વો શરીર માં ની અશુદ્ધિઓ નો નિકાલ કરી લોહી ને શુદ્ધ કરે છે. શુદ્ધ લોહી નું પરિભ્રમણ ત્વચા તરફ થતાં ત્વચા સુંદર અને લવચિક બને છે. આથી , રોજીંદા આહાર માં સલાડ તરીકે અથવા જ્યુસ તરીકે કાચા ગાજર નો ઉપયોગ કરવો હિતાવહ છે.

2.      પપૈયા:- પપૈયા ત્વચા માટે ઉપયોગી એવા વિટામિનો ઉપરાંત પાચક રસ ‘ પેપેઇન ‘ ધરાવે છે. આ પેપેઇન  ત્વચા ના કોલેજન ( ત્વચા નો એક ભાગ છે જે ત્વચા ને મજબૂત અને સ્થિતિસ્થાપકતા આપે છે જે ઉમર વધતાં ઘટતી જાય છે)  ને સ્થિતિસ્થાપકતા આપે છે. જેના પરિણામે ત્વચા માં ચમક આવે છે. ( પપૈયા ત્વચા પર લગાડવા ને બદલે ખાવા માં ઉપયોગ કરવો જોઈએ ) ( સગર્ભા સ્ત્રીઓ તથા માસિક સ્રાવ દરમ્યાન વધુ પડતા રક્ત સ્ત્રાવ ની તકલીફ હોય તો ડાયેટિશિયનની સલાહ બાદ સેવન કરવું. દિવસ દરમ્યાન ૨૦૦ ગ્રામ જેટલું પપૈયું જમવા પહેલા સલાડ તરીકે ખાઈ શકાય. આમ કરવાથી કબજિયાત ની તકલીફ માં રાહત રહે છે. જેના પરિણામે પણ ત્વચા શુદ્ધ રહે છે. ( ઘણીવાર કબજિયાત ને કારણે ત્વચા પર દાણા ઉપસી આવે છે.)

3.      નટસ:- બદામ , કાજુ , અખરોટ જેવા સૂકા મેવા વિટામિન ઈ અને એન્ટી ઓક્સિડન્ટ ના ભરપુર ખજાના છે. અખરોટ મોટા પ્રમાણ માં વિટામિન ઈ ધરાવે છે જે ત્વચા ને સોફ્ટ રાખે છે. વળી, બદામ કોપર થી ભરપુર છે જે ત્વચા પર ને ખીલ તથા કાળા ડાઘ થી દુર રાખે છે. તો ઝીંક નો મોસો સ્ત્રોત એવા કાજુ ત્વચા ને ઇન્ફેક્શન થી અને સોજો આવવાથી બચાવે છે. એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર પિસ્તા ત્વચા ને ચમકીલી રાખવામાં મદદરૂપ થાય છે.

4.      બેરીઝ :- સ્ટ્રોબેરી, ફાલસા, શેતુર, બ્લેક બેરી , ક્રેન બેરી જેવા ખટ્ટમીઠા ફળો કિડની ને સાફ રાખે છે જેના પરિણામે શુદ્ધ લોહી નું પરિભ્રમણ ત્વચા તરફ થાય છે અને ત્વચા તેજસ્વી બને છે. વળી, બેરીઝ માં રહેલા ફ્લ્યુરોસન્ટ તત્વો સૂર્યપ્રકાશ ના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચા ની રક્ષા કરે છે.  સીઝન પ્રમાણે ઓછા માં ઓછી એક મુઠ્ઠી બેરિઝ દિવસ દરમિયાન લઈ શકાય.

5.      લો ફેટ દૂધ ઉત્પાદનો :- ખૂબ વધુ ચરબી ધરાવતા દૂધ ના પનીર ચીઝ જેવા ઉત્પાદનો વધુ ચીકાશ ધરાવતા હોઈ ત્વચાને વધુ તૈલી બનાવી ખીલ કરી શકે. પરંતુ મલાઈ ઉતારેલું સ્કીમડ દૂધ કેલ્શિયમ નો સ્ત્રોત છે અને કેલ્શિયમ ત્વચા ની સ્થિતિસ્થાપકતા માટે અનિવાર્ય છે. આથી રોજ ૩૦૦ થી ૪૦૦ ml જેટલું દૂધ લેવાવું જ જોઈએ..

6.      લીલી ભાજી :- લીલી ભાજી કેલ્શિયમ , મેગ્નેશિયમ ઉપરાંત વિટામિન કે નો સ્ત્રોત છે . વિટામિન કે લોહી શુદ્ધ કરે છે અને ત્વચા તેજોમય બનાવે છે.

7.      કઠોળ:- કઠોળ દ્વારા આપણને પૂરતા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે જે ત્વચા ને થતાં નુકસાન ને રિપેર કરવા, નવા કોષો નું સર્જન કરવા અને જુના , મૃત કોષો ના નિકાલ માટે આવશ્યક છે. આ માટે રોજ ના આહાર માં ૨૦-૨૫ ગ્રામ જેટલું કઠોળ( રાંધ્યા પહેલા નું માપ) લેવાવું જ જોઈએ.

8.      પાણી :- ત્વચા ના શુદ્ધિકરણ, ચમક અને તેજ માટે પાણી એ સૌથી અગત્યનું અનિવાર્ય પરિબળ.છે.પૂરતા પ્રમાણ માં પાણી લેવાથી શરીર માં થી યોગ્ય અંતરાલ માં મળ અને મૂત્ર દ્વારા અનાવશ્યક પદાર્થોનો નિકાલ થતો રહે છે. અને શરીર માં થી અશુદ્ધિઓ દૂર થવાથી ત્વચા આપોઆપ ચમકી ઉઠે છે.

આમ, આ અંકે આપણે શું ખાવાથી ત્વચા ના સ્વાસ્થ્ય માં સુધાર થઈ શકે તે જોયું. હવે આવતા અંકે શું ન ખાવાથી ત્વચા માં થતાં બગાડ ને અટકાવી શકાય તે જાણીશું.

 
 
 

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

Comments


bottom of page