આ પોષકતત્વો ની ખામી હોઈ શકે ….
ઋતુ ઉનાળા થી બદલાઈ ને ચોમાસા માં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તન ને કારણે ઘણા લોકો શરીર માં કચાશ, સુસ્તી, માંદગી અનુભવતા હશે. આપણે જેને ઋતુ પરિવર્તન ને કારણે અનુભવાતી સુસ્તી સમજતા હોઈએ એ કદાચ શરીરમાં પોષકતત્વો ની ઉણપ ને કારણે ઉદભવતી શરીર ની ' ઢીલી પ્રતિક્રિયા ' પણ હોઈ શકે. !
ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે સવારે પૂરતી ઊંઘ લઇ ને ઉઠ્યા બાદ પણ આપણને હજુ ઊંઘ આવ્યા કરે, પથારી માં પડ્યા રહેવાનું મન થાય. તો એના કારણો નીચે મુજબના હોઈ શકે.
• પ્રોટીન ની કમી :- પ્રોટીન નું મુખ્ય કાર્ય થાકેલા કોષો ને આરામ આપવાનું, મૃત કોષો નો શરીર માં થી નિકાલ કરવાનું અને મૃત કોષો ના સ્થાને નવા કોષો નું સર્જન કરવાનું છે. જો ખોરાક દ્વારા ઓછું પ્રોટીન લેવાતું હોય, તો આ કોષો ની સિસ્ટમ ખોરવાય છે જેના કારણે શરીર થાક અનુભવી શકે છે. એક પુખ્ત વય ની વ્યક્તિ ને શરીર નું વજન જેટલા કિલો હોય તેટલા ગ્રામ પ્રોટીન જરૂરી હોય છે. દા. ત. જો શરીર નું વજન ૬૦ કિલો હોય તો આપની પ્રોટીન ની જરૂરિયાત ૬૦ ગ્રામ જેટલી છે એમ કહી શકાય.
પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવવા માટે રોજિંદા આહાર માં દૂધ અને દૂધ ની દહીં, છાશ, પનીર જેવી બનાવટો, ઈંડાં, કઠોળ, બદામ – અખરોટ જેવો સૂકોમેવો જેવા ખાદ્યપદાર્થો નો સમાવેશ કરવો જોઈએ.
• લોહતત્વ ની કમી :- હિમોગ્લોબીન નું મુખ્ય કાર્ય , શરીર ના કોષો ને ઓકસીજન નો પુરવઠો પૂરો પાડવાનું છે. જો શરીર માં હિમોગ્લોબીન નું લેવલ પર્યાપ્ત ન હોય તો શરીર ના કોષો ને પૂરતા પ્રમાણ માં ઓકસીજન મળી રહેતું નથી. જે કારણે કોષો થાકે છે અને અંતે શરીર ઢીલાશ અનુભવે છે.
પૂરતા પ્રમણમાં લોહતત્વ મેળવવા માટે લીલી ભાજી, બીટ, સફરજન, દાડમ જેવા ફળો, ખજૂર, અંજીર, કાળી દ્રાક્ષ જેવો સુકો મેવો , લીવર જેવા માંસાહારી પદાર્થો આપના રોજીંદા આહારનો ભાગ હોય તે જરૂરી છે.
• વિટામિન બી ૧૨ ની કમી :- વિટામિન બી ૧૨ નું કાર્ય શરીર ના ચેતાતંત્ર ને સક્રિય રાખવાનું છે. વિટામિન બી ૧૨ ની ખામી ને કારણે શરીર નું સંવેદના તંત્ર ધીમું પડે છે. વળી, બી ૧૨ નું મહત્વ નું બીજું કાર્ય એ છે કે તે લોહીમાં રક્તકણો ના નિર્માણ માટે જવાબદાર છે. એથી,જો વિટામિન બી ૧૨ શરીર માં ઓછું હોય, તો એની સીધી અસર હિમોગ્લોબીન ના લેવલ પર પણ પડે છે. અને પરિણામે શરીર ઢીલાશ અનુભવે.
વિટામિન બી ૧૨ મેળવવા માટે શાકાહારીઓ આથા વાળો ઈડલી, હાંડવો , અથાણાં જેવા પદાર્થો તથા દૂધ અને દૂધ ના ઉત્પાદનો નો ઉપયોગ વધારી શકે.
માંસાહારીઓ રોજિંદા આહાર માં ઈંડાં અને ચિકન નો ઉપયોગ કરી વિટામિન ની ૧૨ નું પ્રમાણ વધારી શકે. આ ઉપરાંત વિટામિન બી ૧૨ ના સ્પલીમેન્ટ્સ નો ઉપયોગ ડોકટર ની સલાહ મુજબ કરી શકાય.
• વિટામિન ડી ૩ ની કમી :- વિટામિન ડી ૩ કેલ્શિયમ અને ફોસ્ફરસ ના શરીર માં અધિશોષ્ણ માટે જરૂરી છે. વિટામિન ડી ઘટતાં, શરીર માં કેલ્શિયમ ફોસ્ફરસ નું પ્રમાણ ઘટે અને જેથી હાડકાં અને સાંધા નબળા પડી સુસ્તી નું કારણ બને.
વિટામિન ડી મેળવવા માટે સવારના કુમળા તડકા માં ૩૦-૪૦ મિનિટ બેસવું. આ ઉપરાંત વિટામિન ડી ના સપ્લીમેન્ટ્સ ડોકટર ની સલાહ મુજબ લેવાથી સુસ્તી માં રાહત મળી શકે.
• ડી હાઇડ્રેશન :- વરસાદી માહોલ માં પાણી ની તરસ ઓછી લાગે અને ઓછું પાણી પીવાય તે સ્વાભાવિક છે. શરીર માં પાણી નું પ્રમાણ ઓછું થતાં, શરીરમાં સંવેદનાઓ નું વહન ધીમું પડે છે. વળી પોષકતત્વો ની હેરફેર પણ ધીમી પડે છે. આથી, કોષોને પોષકતત્વો નો પુરવઠો ધીમો મળતાં શરીર ને સુસ્તી અને ઢીલાશ અનુભવાય છે.
વાતાવરણ માં ઠંડક હોય તો પણ દિવસ દરમ્યાન ઓછામાં ઓછાં ૩-૪ લીટર પાણી પીવાય જ તે નિશ્ચિત રાખો. વળી, વરસાદ હોય તો ગરમ સૂપ અને ગ્રીન ટી સુસ્તી દૂર કરી શરીર ને તાજગી થી ભરી દેશે.
આ ઉપરાંત ક્યારેક બ્લડ શુગર માં વધારો થયો હોય અથવા કોલેસ્ટ્રોલ વધી જતાં જાડું બનેલું લોહી, શરીર માં ધીમી ગતિ એ પરિભ્રમણ પામે છે જે પણ સુસ્તી લાગવા નું કારણ હોઈ શકે. આ માટે જો લાંબો સમય શરીર ને સુસ્તી લાગતી હોય, તો ફિઝીશિયન ને બતાવી જરૂરી તપાસ સમયસર કરાવવી જોઈએ.
コメント